Sep 25, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-634

 

અધ્યાય-૬૯-વિરાટ અને ઉત્તરનો સંવાદ 


II उत्तर उवाच II न मया निर्जिता गावो न मया निर्जिताः परे I कृतं तत्सकलं तेन देवपुत्रेण केनचित् II १ II

ઉત્તર બોલ્યો-ગાયોને મેં જીતી નથી અને શત્રુઓને મેં હરાવ્યા નથી,એ બધું તો કોઈ દેવપુત્રે કર્યું છે.હું તો તે વખતે કુરુઓની સેનાએ જોઈને ડરી ગયો હતો અને નાસવા માંડતો હતો ત્યારે તે દેવપુત્રે આવી મને વાર્યો અને તે યુવાન જ રથીના સ્થાન પર આવીને બેઠો ને તેણે જ કુરુઓને પરાજિત કરીને ગાયોને પછી મેળવી છે.કૃપ,દ્રોણ,ભીષ્મ,કર્ણ,અશ્વસ્થામા અને દુર્યોધન એ છ મહારથીઓને તેણે જ બાણોના પ્રહારથી વિમુખ કર્યા હતા.દુર્યોધન ભયભીત થઈને નાસી જતો હતો ત્યારે તે મહાબળવાને તેને કહ્યું હતું કે-હે કૌરવપુત્ર,હસ્તિનાપુરમાં પણ તારું કંઈ રક્ષણ થાય એમ મને લાગતું નથી,તો દેશાંતરમાં રખડી તારા જીવનું જતન કર.આમ નાસી છૂટ્યે તું છુટકારો પામવાનો નથી,માટે તું યુદ્ધમાં મન લગાડ.'

Sep 24, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-633

 

અધ્યાય-૬૮-વિરાટનો હર્ષોન્માદ 


II वैशंपायन उवाच II धनं चापि विजित्याशु विराटो वाहिनीपतिः I विवेश नगरं हृष्टश्चतुर्भिः पाण्डवैः सह II १ II

વૈશંપાયન બોલ્યા-આ બાજુ સેનાપતિ વિરાટરાજ પણ પોતાનું ગોધન જીતીને ચાર પાંડવો સાથે હર્ષપૂર્વક નગરમાં પ્રવેશ્યો.

સંગ્રામમાં ત્રિગર્તોને હરાવીને ઐશ્વર્યસંપન્ન થયેલા વિરાટરાજને અભિનંદન અને સન્માન આપવા બ્રાહ્મણો ને મંત્રીમંડળ આવ્યું.

સન્માન આપીને તે સર્વ વિદાય થયા ત્યારે વિરાટરાજે ઉત્તરના સંબંધી પૂછ્યું એટલે અંતઃપુરવાસીઓએ સર્વ વૃતાંત કહ્યું.

પોતાનો રણઉત્સાહી પુત્ર બૃહન્નલાને સારથી કરીને રથમાં કુરુઓ સામે યુદ્ધમાં ગયો છે એ સાંભળીને વિરાટરાજ સંતાપમાં પડ્યો ને મંત્રીઓને કહેવા લાગ્યો કે-'ત્રિગર્તોને નાસી છૂટેલા સાંભળીને કુરુઓ અને બીજા રાજાઓ સાવ ઉભા નહિ રહે.

આથી જે યોદ્ધાઓ ત્રિગર્તો સાથેના યુદ્ધમાં ઘવાયા ન હોય તે સેનાથી વીંટળાઈને ઉત્તરના રક્ષણ અર્થે જાઓ.'

Sep 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-632

 

અધ્યાય-૬૭-ઉત્તરનું નગરાગમન 


II वैशंपायन उवाच II ततो विजित्य संग्रामे कुरुन्स वृषभेक्षण : I स मानयामास तदा विराटस्य धनं महत् II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે વિશાળ દ્રષ્ટિવાળા અર્જુને કુરુઓને સંગ્રામમાં હરાવીને વિરાટરાજનું ગોધન પાછું વાળ્યું.

વિરાટનગર તરફ પાછા વળતાં અર્જુને,ઉત્તરને કહ્યું કે-'સર્વ પૃથાપુત્રો તારા પિતા પાસે રહે છે તે હવે તું જાણે છે પણ 

ત્યાં જઈને તું એ પાંડુપુત્રોની પ્રશંસા કરીશ નહિ કેમ કે મત્સ્યરાજ કદાચિત ભયભીત થઈને મરણ પામે.તું નગરમાં 

જઈને પિતાને એમ જ કહેજે કે-મેં જ કુરુઓની સેનાને હરાવી છે ને ગાયોને પાછી વાળી છે'

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-631

 

અધ્યાય-૬૬-પલાયન અને મૂર્ચ્છા 


II वैशंपायन उवाच II आहयमानश्व स तेन संख्ये महात्मना वै धृतराष्ट्रपुत्रः I निवर्तितस्तस्य गिरांकुशेन महागजो मत्त इवांकुशेन II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા અર્જુને,ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધનને આ પ્રમાણે આહવાન કર્યું,એટલે જેમ,અંકુશના પ્રહારથી મહાગજ પાછો ફરે તેમ,અર્જુનના વાણીરૂપ અંકુશના પ્રહારથી દુર્યોધન પાછો ફર્યો.વીંધાયેલા દુર્યોધનને પાછો વળતો જોઈને કર્ણે તેને રોક્યો અને પોતે જ અર્જુનની સામે યુધ્ધે ચડ્યો.તે જ વખતે ભીષ્મ પણ પાછા આવ્યા ને દુર્યોધનનું રક્ષણ કરવા લાગ્યા.

વળી,દ્રોણ,કૃપ,દુઃશાસન આદિ પણ ત્યાં દુર્યોધનના રક્ષણ માટે આવી પહોંચ્યા.સર્વેએ મળીને અર્જુનને ઘેરી લઈને તેના પર 

ચારે તરફથી બાણોની ઝડી વરસાવી.ત્યારે અર્જુને તે સર્વના અસ્ત્રોને અસ્ત્રોથી હટાવી દીધાં અને 'સંમોહન' નામનું એક બીજું દુર્ધર અસ્ત્ર પ્રગટ કર્યું,ને ગાંડીવનો ઘોષ ગજાવીને યોદ્ધાઓના મનને વ્યથિત કર્યા.

Sep 21, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-630

 

અધ્યાય-૬૫-દુર્યોધનનો પરાભવ 


II वैशंपायन उवाच II भीष्मे तु संग्रामशिरो विहाय पलायमाने धृतराष्ट्रपुत्रः I उत्सृज्य केतुं विदन्महात्मा धनुर्विग्रुह्यार्जुनमाससाद II १ II

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે ભીષ્મ સંગ્રામનો મોખરો છોડી ગયા ત્યારે ધૃતરાષ્ટ્રપુત્ર દુર્યોધને ધનુષ્ય હાથમાં લીધું ને ગર્જના કરતો અર્જુનની સામે ચડી આવ્યો.તેણે ધનુષ્યને કાન સુધી ખેંચીને એક ભલ્લ બાણ મૂક્યું અને અર્જુનના લલાટના મધ્યભાગને વીંધ્યું.તેથી અર્જુનનું લલાટ ચિરાઈ ગયું.અર્જુને પણ સામે દુર્યોધનને વીંધ્યો.બંને વચ્ચે યુદ્ધ થયું.એ જ વખતે એક મહાગજ પર બેસીને વિકર્ણ પણ અર્જુન પર ચડી આવ્યો.ત્યારે અર્જુને એક મહાન અતિવેગવાળું ગજવેલનું બાણ મૂક્યું કે જેથી તે હાથી પૃથ્વી પર ઢળી પડ્યો.એટલે વિકર્ણ ત્રાસનો માર્યો હાથી પરથી ઉતરીને,દોડીને વિવીંશતિના રથમાં ચડી ગયો.

Sep 20, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-629

 

અધ્યાય-૬૪-ભીષ્મનું પાછું હટવું 


II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भारतानां पितामहः I वध्यमानेषु योधेषु धनंजयमुपाद्रवत II १ II

વૈશંપાયન બોલ્યા-આમ યોદ્ધાઓ હણાઈ ગયા,ત્યારે શાંતનુપુત્ર પિતામહ ભીષ્મ ધનંજયની સામે ચડી આવ્યા.તેમણે સોનાથી શણગારેલું શ્રેષ્ઠ ધનુષ્ય લીધું હતું અને તીણાં અણીવાળાં પ્રચંડ બાણો લીધાં હતાં,ધૃતરાષ્ટ્રપુત્રોને હર્ષ પમાડવા માટે તેમણે શંખનાદ કર્યો.તેમને ચડી આવેલા જોઈને અર્જુન અત્યંત પ્રસન્ન થયો ને જેમ,પર્વત મેઘને ઝીલી લે,તેમ તેણે તેમને આવકાર આપ્યો.પછી ભીષ્મે અર્જુનની ધજા પર સાપની જેમ ફૂંફાડા મારતાં આઠ મહાવેગવાળાં બાણો મૂક્યાં કે જે બાણોએ તે 

ધ્વજમાં રહેલા વાનરને ઘાયલ કર્યો અને ધ્વજની ટોચે રહેલ બીજાં પ્રાણીઓને વીંધી નાખ્યાં.એટલે અર્જુને વિશાળ ધારવાળું મોટું ભલ્લ બાણ છોડીને ભીષ્મના છત્રને ભેદી નાખ્યું.ને બીજા બાણો ચલાવીને રથના ઘોડાઓને ને સારથિને ઘાયલ કર્યા.