અધ્યાય-૬૪-ભીષ્મનું પાછું હટવું
II वैशंपायन उवाच II ततः शांतनवो भीष्मो भारतानां पितामहः I वध्यमानेषु योधेषु धनंजयमुपाद्रवत II १ II
વૈશંપાયન બોલ્યા-આમ યોદ્ધાઓ હણાઈ ગયા,ત્યારે શાંતનુપુત્ર પિતામહ ભીષ્મ ધનંજયની સામે ચડી આવ્યા.તેમણે સોનાથી શણગારેલું શ્રેષ્ઠ ધનુષ્ય લીધું હતું અને તીણાં અણીવાળાં પ્રચંડ બાણો લીધાં હતાં,ધૃતરાષ્ટ્રપુત્રોને હર્ષ પમાડવા માટે તેમણે શંખનાદ કર્યો.તેમને ચડી આવેલા જોઈને અર્જુન અત્યંત પ્રસન્ન થયો ને જેમ,પર્વત મેઘને ઝીલી લે,તેમ તેણે તેમને આવકાર આપ્યો.પછી ભીષ્મે અર્જુનની ધજા પર સાપની જેમ ફૂંફાડા મારતાં આઠ મહાવેગવાળાં બાણો મૂક્યાં કે જે બાણોએ તે
ધ્વજમાં રહેલા વાનરને ઘાયલ કર્યો અને ધ્વજની ટોચે રહેલ બીજાં પ્રાણીઓને વીંધી નાખ્યાં.એટલે અર્જુને વિશાળ ધારવાળું મોટું ભલ્લ બાણ છોડીને ભીષ્મના છત્રને ભેદી નાખ્યું.ને બીજા બાણો ચલાવીને રથના ઘોડાઓને ને સારથિને ઘાયલ કર્યા.