Sep 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-626

 

અધ્યાય-૬૦-કર્ણ ફરીથી નાઠો 


II अर्जुन उवाच II कर्ण यत्ते सभामध्ये बहु वाचा विकत्थितम् I न मे युधि समोस्तीति तदिदं समुपस्थितम् II १ II 

અર્જુન બોલ્યો-હે કર્ણ,તેં સભા વચ્ચે બહુ બકવાદ કર્યો હતો અને બડાશ મારી હતી કે યુદ્ધમાં કોઈ જ મારી બરોબરીનો નથી,તો તે સાચી કરી બતાવવાનો આજે સમય આવી ગયો છે.આજે તું તારી જાતને નિર્બળ જાણીશ ને બીજાઓનું અપમાન કરતો અટકીશ,તેં કેવળ ધર્મનો ત્યાગ કરીને કઠોર વાણી કાઢી હતી,પણ આજે તું મારી સાથે યુદ્ધ કરવા ઈચ્છી રહ્યો છે તે આ તારું કર્મ મને દુષ્કર લાગે છે.આજે તું યુદ્ધ કરીને આ કુરુઓની વચ્ચે તું તારી વાણીને સત્ય કરી બતાવ.પૂર્વે ધર્મપાશથી બંધાયેલો હોઈને મેં જે સાંખી લીધું હતું,તે મારા ક્રોધનો આજે તું યુદ્ધમાં મારો વિજય જોજે.(8)

Sep 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-625

 

અધ્યાય-૫૯-અર્જુન અને અશ્વસ્થામાનું યુદ્ધ 


II वैशंपायन उवाच II ततो द्रौणिर्महाराज प्रययावर्जुनं रणे I 

तं पार्थः प्रतिजग्राह वायुवेगभिवोद्वतं I शरजालेन महता वर्यमाणभिवायुदम्  II१II

વૈશંપાયન બોલ્યા-પછી,દ્રોણનંદન અશ્વસ્થામાએ રણમાં અર્જુન પર ધસારો કર્યો,એટલે વાયુના જેવા ઉદ્વત વેગોવાળા અને મેઘની જેમ મોટી બાણવર્ષા વરસાવી રહેલા એ અશ્વસ્થામાને પૃથાપુત્રે સારો સત્કાર આપ્યો.ત્યાં તે બંને વચ્ચે દેવો અને અસુરોના જેવું ઘોર યુદ્ધ ચાલ્યું.ત્યારે બાણોની વર્ષાથી આકાશ છવાઈ ગયું ને સર્વત્ર અંધકાર પથરાઈ રહ્યો.

બંને યોદ્ધાઓ એકબીજા પર પ્રહાર કરતા હતા ત્યારે ત્યાં જાણે બળતા વાંસ જેવા ભયંકર ચડચડાટ થયા.

Sep 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-624

અધ્યાય-૫૮-દ્રોણાચાર્ય અને અર્જુન વચ્ચે સંગ્રામ 


II वैशंपायन उवाच II क्रुपेपनिते द्रोणस्तु प्रगृह्य सशरं धनुः I अभ्यद्रवदनाधृष्पः शोणाश्वः श्वेतवाहनम् II १ II 

વૈશંપાયન બોલ્યા-આ પ્રમાણે કૃપાચાર્ય રણભૂમિમાંથી પાછા હટ્યા,એટલે લાલ અશ્વના રથવાળા અને અપરાજિત એવા દ્રોણાચાર્ય ધનુષ્યબાણ લઈને શ્વેતવાહન અર્જુનની સામે ધસી આવ્યા.સુવર્ણરથમાં બેસેલા ગુરુને પોતાની સમીપ આવી રહેલા જોઈને અર્જુને ઉત્તરને કહ્યું કે-'સામે આવી રહેલા મારા ગુરુ દ્રોણાચાર્ય સામે તું રથ લે,આ સંગ્રામમાં હું તેમની સામે યુદ્ધ કરવા ઈચ્છું છું' અર્જુનના કહેવાથી ઉત્તરે રથને વેગપૂર્વક રથને દ્રોણાચાર્ય તરફ હાંક્યો.ત્યારે શંખના ઘોષો થયા અને સેંકડો ભેરીઓના નાદ ઉઠ્યા.એટલે ત્યાં આખું સૈન્ય ઉછળી રહેલા સાગરની જેમ ખળભળી ઉઠ્યું.લોકો વિસ્મયમાં પડ્યા.

Sep 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-623

 

અધ્યાય-૫૬-યુદ્ધ જોવા માટે દેવો-આદિનું આગમન 


II वैशंपायन उवाच II तान्यानिकान्यद्रष्यंत कृरुणामग्रधन्विनाम I संसर्पत्ते यथा मेघा धर्मान्ते मंदमारुताः II १ II

 વૈશંપાયન બોલ્યા-ત્યાં ઉગ્ર ધનુષ્યને ધારણ કરનારી કુરુઓની સેનાઓ,ગ્રીષ્મકાલે પવનથી ચાલતા મેઘોની જેમ હળવે હળવે આગળ વધતી જણાઈ.કૃપાચાર્યની સાથેના યોદ્ધાઓ,તેમના હાથીઓ,ઘોડાઓ ને રથોથી સજ્જ સેના સાથે થનારા સંગ્રામને જોવા વિશ્વદેવા,અશ્વિનીકુમારો,મરુતગણો આદિ સાથે ઇંદ્ર ત્યાં તેના સુંદર વિમાનમાં બેસીને આવ્યો.દેવો,યક્ષો,ગંધર્વો

અને મહાસર્પોથી ભરાઈ ગયેલું આકાશ તે વખતે ગ્રહમંડળની જેમ શોભી રહ્યું.

Sep 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-622

 

અધ્યાય-૫૫-અર્જુનનો સપાટો 

II वैशंपायन उवाच II अपयाते तु राधेये दुर्योधनपुरोगमाः I अनीकेन यथा स्वेन शनैरार्च्छत् पाण्डवं II १ II

વૈશંપાયન બોલ્યા-તે રાધેય કર્ણ પલાયન થયો ત્યારે દુર્યોધન આદિ કૌરવો પોતપોતાની સેનાની સાથે ધીરે ધીરે અર્જુનની સામે આવવા લાગ્યા.વ્યુહબદ્ધ થઈને તેઓએ અર્જુન પર બાણોની વૃષ્ટિ કરવા માંડી.ત્યારે અર્જુને તેમના વેગને રોકીને,દિવ્ય અસ્ત્રોનો પ્રયોગ કરતો તે સામે ધસ્યો.ને ગાંડીવથી અસંખ્ય બાણો છોડીને તેણે દશે દિશાઓને ઢાંકી દીધી.તે વખતે રથો,અશ્વો,હાથીઓ અને કવચોની બે આંગળ જેટલી જગ્યા પણ અર્જુનનાં તીક્ષણ બાણોથી વીંધાયા વગરની રહી નહોતી.અર્જુનનું આ શીઘ્ર અને શ્રેષ્ઠ પરાક્રમ જોઈને શત્રુઓ પણ તેની સ્તુતિ કરવા લાગ્યા. 

Sep 12, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-621

 
અધ્યાય-૫૪-કર્ણ પલાયન થયો 

II वैशंपायन उवाच II 
स शत्रुसेनां तरसा प्रनुध्य गास्ता विजित्याथ धनुरधराभ्यः I दुर्योधनायाभिमुखं प्रयातो भूयो रणं सोभिचिकीर्पमाणः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુને,શત્રુસેનાને શીઘ્ર અસ્તવ્યસ્ત કરી નાખી અને ગાયોને જીતી લીધી,પછી ફરી યુદ્ધ કરવાની ઈચ્છાથી તેણે દુર્યોધન તરફ પ્રયાણ કર્યું.ત્યારે સામે ગાયોને પાછી જતી જતી જોઈ,કુરુ યોદ્ધાઓ અર્જુન સામે ધસ્યા.
તે વખતે સામે ધસી આવેલા તે યોદ્ધાઓને જોઈને અર્જુને,ઉત્તરને રથને કર્ણ તરફ લઇ જવાનું કહ્યું અને તે રથીઓની સેનાને વીંધી દઈને રણભૂમિની મધ્યમાં કર્ણની સામે આવીને ઉભો.ત્યારે કર્ણને બચાવવા ચિત્રસેન આદિયોદ્ધાઓ તેની સામે દોડી આવ્યા તો અર્જુને ક્રોધે ભરાઈને તેમના રથોને બાળી મૂકીને નિઃસહાય કરી દીધા.