May 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-511

 

ઘોષયાત્રા પર્વ 

અધ્યાય-૨૩૬-ધૃતરાષ્ટ્રનો પાંડવો માટે ખેદ 


II जनमेजय उवाच II 

एवं वने वर्तमाना नराग्रया: शीतोष्णवातातपकर्षितांगा: I सरस्तदासाद्य वनं च पुण्यं ततः परं किमकुर्वत पार्थाः  II १ II

જન્મેજય બોલ્યા-વનમાં વસેલા અને ટાઢ તડકાથી અંગે સુકાયેલા એ નરશ્રેષ્ઠ પૃથાનંદનોએ,

પુણ્યવનમાં આવેલા એ સરોવરે,પહોંચ્યા પછી શું કર્યું?

વૈશંપાયન બોલ્યા-પાંડવોએ તે સરોવર પર આવીને પોતાનું નિવાસસ્થાન તૈયાર કર્યું,ને તેઓ તે રમણીય વન,પર્વતો

અને નદી પ્રદેશોમાં વિચરવા લાગ્યા હતા.તેમની પાસે વૃદ્ધ,તપોમય,વેદવેત્તા બ્રાહ્મણો આવતા ત્યારે તેઓ તેમનો

સત્કાર કરતા હતા.એક વાર કોઈ કથાકુશળ વિપ્ર,પાંડવોને મળીને ધૃતરાષ્ટ્ર પાસે ગયો અને 

સર્વ પાંડવોની પરિસ્થિતિ વર્ણવતાં કહ્યું કે-તે પાંડવોનાં અંગ ટાઢ તડકાથી દુબળાં થઇ ગયા છે,

ને કૃષ્ણા,વીર પતિઓની પત્ની હોવા છતાં અનાથની જેમ પાર વિનાના ક્લેશો ભોગવે છે'  (6)

May 8, 2024

વસંતી વાયરો-By અનિલ શુક્લ


લાગ્યું હતું,કે શાલ ભભૂતિની ઓઢીને,શાંત બન્યો હતો પવન,પણ,
ખંખેરાઈ,રાખ,ને નાદ અનંતનો જગાવી ગયો,બની વસંતી વાયરો

અચાનક,શાંત આકાશમાં,ક્યાંથી સંભળાય છે,પંખીઓનો કલશોર?
લાગે,કે,કોઈ સૂરમય સંગીત ને નિપજાવી ગયો,એ વસંતી વાયરો

લહેરાઈ ને,મંદ મંદ વહેતો અનિલ બની ગયો છે "માઈ" નો વાયરો,
ફૂટું ફૂટું થતી એ કળીને સ્પર્શ અજબનો કરાવી ગયો વસંતી વાયરો

અનિલ
માર્ચ 19-2015 

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-510

 

અધ્યાય-૨૩૪-દ્રૌપદીનો સત્યભામાને ઉપદેશ 


II द्रौपदी उवाच II 

इमं तु ते मार्गमपेतमोहं वक्ष्यामि चित्तग्रहणाय भर्तुः I अस्मिन्यथावत्सखी वर्तमाना भर्तारमाच्छेत्स्यसि कामिनिभ्यः II १ II

દ્રૌપદી બોલી-હે સખી,સ્વામીના ચિત્તને આકર્ષવા માટે હું તમને આ નિઃસંશય માર્ગ કહું છું,તમે જો એ માર્ગે યથાવત વર્તશો તો તમે તમારા પતિને બીજી કામિનીઓથી છોડાવી શકશો.પતિ જો પ્રસન્ન થાય તો સર્વ મનોરથો ફળે છે

ને જો કોપવશ થાય તો સર્વ નાશ આવે છે.પતિના પ્રસન્ન થવાથી સ્ત્રીઓને સંતાન,વિવિધ ભોગો,

શય્યાઓ,વસ્ત્રો,માળાઓ,સુગંધો,સ્વર્ગલોક ને કીર્તિ મળે છે.આ સંસારમાં સુખ કંઈ સુખપૂર્વક મળતું નથી.

તમે નિત્ય હૃદય,પ્રેમ ને સેવાપૂર્વક કૃષ્ણનું આરાધન કરો,સરળ સૌજન્યથી તેમને પ્રસન્ન કરો 

જેથી 'હું આને વહાલો છું' એવું જાણીને કૃષ્ણ તમને જ વળગી રહેશે.

May 7, 2024

મસ્તીની દશા-By અનિલ શુક્લ

 

વાયરો દખણ નો એવો તો વાઈ ગયો,
કે સ્થિર આકાશમાં અનહત જગાવી ગયો,

ઝૂમ્યું ચમન ને ઝૂમી ઉઠ્યા છે એ ફૂલો,
ચો તરફ,અનંત ની ફોરમ પ્રસરાવી ગયો.

હશે કૃપા "એ"ની કે તોફાન છે એ પવનનું?
જે હોય તે ભલે,મસ્ત ને મસ્તી કરાવી ગયો.

કહે કોને અનિલ,મસ્તી ની દશા નો પ્રસંગ?
આમતેમ શબ્દો ભેગા કરી,કૈંક લખાવી ગયો.

અનિલ
એપ્રિલ 16-2015

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-509

 

દ્રૌપદી-સત્યભામા સંવાદ પર્વ 


અધ્યાય-૨૩૩-પતિને વશ કરવાનો દ્રૌપદીએ કહેલો મહામંત્ર 


II वैशंपायन उवाच II उपासिनेपु विप्रेयु पांडवेपु महात्मसु I द्रौपदी सत्यभामा च विविशाते तदा समम् II १ II

વૈશંપાયન બોલ્યા-મહાત્મા પાંડવો બ્રાહ્મણો સાથે બેઠા હતા,તે વખતર દ્રૌપદી અને સત્યભામાએ સાથે જ એક સ્થાનમાં પ્રવેશ કર્યો.લાંબે સમયે એકમેકને મળીને આનંદ પામીને તે બંને સખીઓ બેઠી અને વાતો કરવા લાગી.

કૃષ્ણની પ્રિય પટ્ટરાણી અને સત્રાજિતની પુત્રી સત્યભામાએ દ્રૌપદીને પૂછ્યું-'હે દ્રૌપદી,તમે આ વીર પાંડવો પર કેમ કરીને સત્તા ચલાવો છો? તેઓ કેમ તમારા પર કોપ કરતા નથી?ને સદા તમારે વશ રહે છે? શું કોઈ વ્રતાચરણ,

તપ,મંત્ર,ઔષધિ,વિદ્યાનો પ્રભાવ,જપ,હોમ કે કોઈ ઓસડ આમાં કારણરૂપ છે?મને આનું રહસ્ય કહો (8)