Jan 17, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-398

 

અધ્યાય-૧૦૪-વિંધ્યને અગસ્ત્યે વધતો રોક્યો 


II युधिष्ठिर उवाच II किमर्थ सहसा विन्ध्यः प्रपुद्वः क्रोधमुर्छित: I एतदिच्छाम्यहं श्रोतुं विस्तरेण महामुने II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિ,શા માટે વિંધ્યાચલ પર્વત ક્રોધી બનીને એકદમ વધી રહ્યો હતો? તે સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'સૂર્ય,ઉદય ને અસ્ત સમયે પર્વતોના રાજા એવા સુવર્ણમય મેરુપર્વતની પ્રદિક્ષણા કરતા હતા,એ જોઈને વિંધ્યાચલે સૂર્યને કહ્યું કે-'હે ભાસ્કર,તમે જેમ મેરુની પ્રદિક્ષણા કરો છો તેમ મારી પણ પ્રદિક્ષણા કરો'

સૂર્યે જવાબ આપ્યો કે-'હું કોઈ મારી ઈચ્છાથી એ મહાગિરીની પ્રદિક્ષણા કરતો નથી,જેમણે આ જગત બનાવ્યું છે તેમણે જ મને આ માર્ગ બતાવ્યો છે' સૂર્યના જવાબથી વિંધ્યને ક્રોધ ચઢી આવ્યો અને એકદમ વધીને સૂર્યનો માર્ગ રોકવાની ઈચ્છા કરવા લાગ્યો.ત્યારે સર્વ દેવો એકઠા થઈને વિંધ્ય પાસે ગયા,પણ તેણે તેમનું વચન ગણકાર્યું નહિ.

એટલે દેવો અગસ્ત્ય પાસે ગયા ને બોલ્યા કે-'હે દ્વિજોત્તમ,વિંધ્ય ક્રોધને વશ થઈને સૂર્યની ગતિ રોકવા ઈચ્છે છે,

તેને અટકાવવા તમારા સિવાય કોઈ સમર્થ નથી તો હે મહાભાગ,તમે એને રોકો'

Jan 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-397

 

અધ્યાય-૧૦૩-અગસ્ત્યનું માહાત્મ્ય 


II देवा उचु II तव प्रसादाद्वयते प्रजाः सर्वाश्चतुर्विधाः I त भविता भावयन्ति हव्यकव्यैर्दिवोकस II १ II

દેવો બોલ્યા-'તમારી કૃપાથી ચારે પ્રકારની સર્વ પ્રજાઓ વધે છે.વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ હવ્યો ને દ્રવ્યોથી દેવોની

વૃદ્ધિ કરે છે.આમ તમારી કૃપાથી જ રક્ષાયેલા લોકો એકબીજાને આશરે રહીને વૃદ્ધિ પામે છે.પણ અત્યારે લોકોને

ભારે ભય આવી પડ્યો છે.અમારાથી સમજાતું નથી કે આ બ્રાહ્મણોને રાતે કોણ મારી નાખે છે?

બ્રાહ્મણોનો નાશ થતાં પૃથ્વી લય પામશે,ને પૃથ્વી ક્ષીણ થતાં સ્વર્ગ પણ લય પામશે.માટે 

હે મહાબાહુ,હે જગત્પતિ,તમે સર્વ લોકોનું રક્ષણ કરો,તમારી કૃપાથી જ તેઓ વિનાશ પામશે નહિ (5)

Jan 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-396

 

અધ્યાય-૧૦૨-કાલેય દૈત્યોનાં કાળાં કર્મ-તથા વિષ્ણુની સ્તુતિ 


II लोमश उवाच II समुद्रं ते समाश्रित्य वरुणं निधिर्ममस: I कालेयाः संप्रवर्तते त्रैलोक्यस्य विनाशने II १ II

લોમશ બોલ્યા-'જલનિધિ સાગરમાં ભરાઈને તે કાલેયો ત્રણે લોકનો વિનાશ કરવા લાગ્યા.અત્યંત કોપેલ તે દૈત્યો આશ્રમો ને પુણ્યધામોમાં જે જે મુનિઓ હતા તેમને રાતે ખાઈ જતા હતા.વસિષ્ઠના આશ્રમના એકસો સત્તાણું,ચ્યવનના આશ્રમના સો ને ભરદ્વાજ આદિના આશ્રમમાંથી અનેક બ્રાહ્મણોને તેઓ ખાઈ ગયા હતા.

આ રીતે પોતાના બાહુબળથી મસ્ત થયેલા તે કાલેય દાનવો રાત્રે સર્વ આશ્રમવાસીઓને દુઃખ દેતા ને અનેક બ્રાહ્મણોને મારી નાખતા હતા.તે દૈત્યોને કોઈ માનવી ઓળખી શકતો નહોતો.કેમકે સવાર થતા સુધી તો તેઓ સમુદ્રમાં જઈ સંતાઈ જતા હતા.કાલેયોના ભયથી પીડાયેલા આ જગતમાં વેદાધ્યયન ન રહ્યું,વષટ્કાર ન રહ્યો,યજ્ઞોત્સવની ક્રિયા ના રહી ને ઉત્સાહ પણ ન રહ્યો.ભયભીત થઈને માનવો જુદીજુદી દિશાઓમાં દોડીને 

સંતાવા લાગ્યા.કેટલાક ધનુર્ધારીઓએ તે દૈત્યોને ખોળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ થાકીને તેઓ પાછા વળ્યા.

Jan 14, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-395

 

અધ્યાય-૧૦૧-વૃત્રવધ 


II लोमश उवाच II ततः स वज्रौ बलिभिर्दैवतैरभिरक्षिता: I आससाद ततो वृत्रं स्थितमावृत्य रोदसी II १ II

લોમશ બોલ્યા-'પછી બળવાન દેવોથી ચોતરફ રક્ષાયેલો ઇન્દ્ર,ત્યાં પૃથ્વી ને આકાશને ઘેરી ઉભેલા વૃત્ર પાસે આવ્યો.તે વખતે તે વૃત્ર મહાભયંકર કાલકેયોથી ચારે તરફથી સુરક્ષિત હતો.પછી બે ઘડી સુધી દેવો ને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું.પરિઘ નામના હથિયારો લઈને અને સુવર્ણનાં કવચ સજીને કાલેયો,દેવો પર ધસવા લાગ્યા.

અભિમાનપૂર્વક દોડી રહેલા તે વેગવાનોના વેગને દેવો જીરવી શક્યા નહિ અને ભયભીત થઇ નાસવા લાગ્યા.

એ જોઈને ઇન્દ્ર ભયભીત થયી ગયો ને તરત જ  નારાયણ પ્રભુને શરણે ગયો (7)

Jan 13, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-394

 

અધ્યાય-૧૦૦-વજ્ર નિર્માણ 


II युधिष्ठिर उवाच II भूय एवादमिच्छामि महर्षेस्तस्य धीमतः I कर्मणां विस्तरं श्रोतुमगस्तस्य द्विजोत्तम II १ II

યુધિષ્ઠિર બોલ્યા-હે દ્વિજોત્તમ,તે અગસ્ત્ય મહર્ષિનાં કર્મોના વિસ્તારને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું.

લોમશ બોલ્યા-'હાઈ મહારાજ,અમાપ તેજસ્વી અગસ્ત્યનો પ્રભાવ અને તેમની દિવ્ય,અદભુત ને અમાનુષી કથા તમે સાંભળો.સત્યયુગમાં ભયંકર,દુષ્ટ મદવાળા ને અત્યંત દારુણ કર્મ કરનારા કાલકેય નામે પ્રસિદ્ધ દાનવો હતા.

વિવિધ આયુધોથી સજ્જ થયેલા તેઓ વૃત્રનો આશ્રય લઈને ઇન્દ્ર આદિ દેવો પર ચારે બાજુથી ધસતા હતા.(4)