રાજાની આવી વાત સાંભળતા જ શકુંતલા,લજ્જાથી ભોંઠી પડી ગઈ,દુઃખથી તે પથ્થરની જેમ ઉભી રહી,
તીરછી નજરે તે રાજાને જોઈ રહી,ક્રોધથી ઉકળેલી હોવા છતાં,તેણે ક્રોધને છુપાવી રાખ્યો.
થોડીવાર વિચાર કરીને,દુઃખ અને કોપથી યુક્ત એવી તેણે,રાજાને કહ્યું કે-'હે મહારાજ,જાણતા હોવા છતાં,તમે એક સાધારણ મનુષ્યની જેમ 'હું જાણતો નથી' એવું કેમ બોલો છો? સાચું-જૂઠું તો તમારું હૃદય જાણે છે,માટે આત્માને સાક્ષી રાખીને તમે કલ્યાણકારી વચન બોલો.તમે એમ સમજો છો કે 'હું એકલો છું,ને મને જોનાર કોઈ નથી'
પણ,પરમાત્મા,આ સર્વ જોઈ રહ્યા છે ને તેમની સમક્ષ તમે જુઠ્ઠું બોલીને પાપ કરી રહ્યા છો.(24-28)