અધ્યાય-૬૧-દુઃશાસન આદિ સાથે અર્જુનનું યુદ્ધ
II वैशंपायन उवाच II ततो वैकर्तनं जित्वा पार्थो वैराटीमब्रवीत I एतन्मां प्रापयानीकं यत्र तालो हिरण्मयः II १ II
વૈશંપાયન બોલ્યા-આમ,સૂર્યપુત્ર કર્ણને જીત્યા પછી,અર્જુને ઉત્તરને કહ્યું કે-'જ્યાં પેલો સુવર્ણમય તાલધ્વજ દેખાય છે,
તેમાં દેવ સમાન પિતામહ ભીષ્મ બેઠા છે ને મારી સાથે યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે,તો તું મને ત્યાં લઇ જા.'
ત્યારે બાણોથી અત્યંત વીંધાઈ ગયેલા ઉત્તરે કહ્યું કે-'હે વીર,હવે હું અહીં આ ઘોડાઓને નિયમનમાં રાખી શકું તેમ નથી,કેમકે મારા પ્રાણ મૂંઝાઈ રહ્યા છે.અને મારુ મન વિહવળ થઇ ગયું છે.ગાંડીવના ટંકારથી મારા કાન બહેરા થઇ ગયા છે,મારી સ્મૃતિ નાશ પામી ગઈ છે.મારુ ભાન નષ્ટ થવાથી હું જોઈ શકતો નથી,મારા પ્રાણ ગૂંગળાઈ રહ્યા છે અને આ પૃથ્વી મને ફરતીહોય એમ લાગે છે,ચાબૂકને તથા લગામને હાથમાં રાખવાની મારામાં શક્તિ પણ રહી નથી (12)