Sep 9, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-618

 
અધ્યાય-૫૧-ભીષ્મે સાંત્વન કર્યું 

II भीष्म उवाच II साधु पश्यति वै द्रौणिः कृपः साध्वनुपश्यति I कर्णस्तु क्षात्रधमण केवलं योद्धवुमिच्छति II १ II
ભીષ્મ બોલ્યા-આ દ્રોણપુત્ર અને કૃપાચાર્ય યોગ્ય જ કહે છે.એક આ કર્ણ જ કેવળ ક્ષાત્રધર્મથી યુદ્ધ કરવાની ઈચ્છા રાખે છે.
પણ,વિદ્વાન પુરુષે આચાર્યને દોષ દેવો યોગ્ય નથી,દેશકાળને જોઈને જ યુદ્ધ કરવું જોઈએ એમ હું પણ માનું છું.
જેના સૂર્ય જેવા તેજસ્વી ને પ્રહાર કરનારા પાંચ શત્રુઓ (પાંડવો) છે એ શત્રુઓનો ઉદય થાય ત્યારે પંડિત મનુષ્ય પણ કેમ મૂંઝવણમાં ન પડે? સર્વ ધર્મવેત્તા મનુષ્યો પણ સ્વાર્થની વાતમાં મૂંઝાઈ પડે છે.કર્ણે,આચાર્યની નિંદા કરનારાં જે વચન કહ્યાં તે તો આચાર્યમાં તેજ પ્રગટાવવા માટે છે માટે અશ્વસ્થામા તેને ક્ષમા કરે,કેમ કે અત્યારે આપણી સમક્ષ મોટું કામ આવી ઉભું છે.

Sep 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-617

 

અધ્યાય-૫૦-અશ્વસ્થામાનું ભાષણ 


II अश्वस्थामा उवाच II न च ताव्ज्विता गावो न च सिमांतरं गताः I न हस्तिनापुरं प्राप्तास्तवं च कर्ण विकत्थसे II १ II

અશ્વસ્થામા બોલ્યો-હે કર્ણ,હજુ તો આ ગાયો હસ્તિનાપુરમાં પહોંચી નથી ને તું શેની બડાશો મારે છે? શૂરાઓ તો સંગ્રામો જીતીને

પોતાના પરાક્રમની કશી લાંબીચોડી વાતો કરતા નથી.અગ્નિ બોલ્યા વિના જ બળે છે,સૂર્ય મૌન રહીને જ ઝળહળે છે.

જુગટાથી ને છેતરપિંડીથી,ક્રૂર અને નિર્લજ્જ દુર્યોધને રાજ્ય મેળવ્યું છે,ને આવા રાજ્યથી કયો ક્ષત્રિય સંતોષ લઇ શકે?

કે કોણ તેની બડાઈ હાંકી શકે? આજે મેળવેલું ગૌધન શું તેં કોઈ સામે યુદ્ધ કરીને મેળવ્યું છે? કયા યુદ્ધમાં તેં પાંડવોના એકને

પણ જીત્યો છે? કયા યુદ્ધમાં ઇન્દ્રપ્રસ્થ પર વિજય મેળવ્યો છે? કયા યુદ્ધમાં દ્રૌપદીને જીતી હતી? 

Sep 7, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-616

 

અધ્યાય-૪૯-કૃપાચાર્યનું ભાષણ 


II कृप उवाच II सदैव तव राधेय युद्धे क्रुरतरा मतिः I नार्थानां प्रकृतिं वेत्सि नानुवन्धमवेक्षसे II १ II

કૃપ બોલ્યા-હે રાધેય,યુદ્ધના વિષયમાં તારી મતિ સદૈવ ક્રૂર હોય છે પણ તું કાર્યનું સ્વરૂપ જાણતો નથી અને તેના પરિણામને પણ લક્ષમાં લેતો નથી.શાસ્ત્રનો આધાર લઈને અનેક કપટયુક્તિઓ વિચારાઈ છે પણ તેમાં યુદ્ધ એ સૌથી પાપિષ્ટ છે એમ શાસ્ત્રવેત્તાઓ કહે છે.દેશ અને કાળને અનુસરીને કરવામાં આવેલું યુદ્ધ જ વિજયદાયી ને કલ્યાણકારી છે.ઊંડો વિચાર કરવામાં આવે તો જણાશે કે જેણે એકલાએ જ ખાંડવ વનમાં અગ્નિને તૃપ્ત કર્યો હતો,તે એકલો જ જો અહીં આપણી સામે ચડી આવ્યો હશે તો તેની સામે યુદ્ધ કરવામાં આપણે સમર્થ નથી.એણે એકલાએ જ સુભદ્રાનું હરણ કરી,કૃષ્ણ ને બલરામને યુદ્ધનું આહવાન આપ્યું હતું,એણે એકલાએ જ કિરાતરૂપમાં રહેલા શિવ સાથે યુદ્ધ કર્યું હતું,

Sep 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-615

 
અધ્યાય-૪૮-કર્ણની બડાઈ 

II कर्ण उवाच II सर्वानायुष्मतो भीतान संत्रस्तानिव लक्षये I अयुद्वमनसश्चैव सर्वाश्वैवानवस्थितान् II १ II
કર્ણ બોલ્યો-મને તો તમે સર્વ વૃદ્ધો,ભયભીત થયેલા અને સર્વશઃ અસ્થિરચિત્ત બની ગયેલા લાગો છો.અહીં સામે મત્સ્યરાજ કે અર્જુન ગમે તે આવ્યો હોય,પણ હું તેમને,જેમ કિનારા સમુદ્રને અટકાવી રાખે છે તેમ તેમને અટકાવી રાખીશ.મારા હાથનાં બાણો,જેમ તીડો,વૃક્ષને ઢાંકી દે છે,તેમ તે પૃથાપુત્રને ઢાંકી દેશે.મારા સુવર્ણ બાણોથી આકાશ આગિયાથી છવાઈ ગયેલા જેવું જણાશે.પૂર્વે વચનથી સ્વીકારેલું દુર્યોધનનું ઋણ,આજે હું આ સંગ્રામમાં અર્જુનને હણીને વાળી દઈશ.જેમ,ગરુડ,સાપને પકડી લે છે તેમ આજે હું તે અર્જુનને મારા બાણોથી વિવશ કરીને રથમાંથી જ પકડી લઈશ.

Sep 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-614

 

અધ્યાય-૪૭-કર્ણ અને દુર્યોધનનાં વચન 


II वैशंपायन उवाच II अथ दुर्योधनो राजा समरे भीष्मब्रवीत I द्रोणं च रथशार्दुलं कृपं च सुमहारथम् II १ II

વૈશંપાયન બોલ્યા-પછી,દુર્યોધને રણભૂમિમાં ભીષ્મને,રથશાર્દુલ દ્રોણને અને ઉત્તમ મહારથી કૃપાચાર્યને કહ્યું કે-

'મેં આ એક વાત વારંવાર કહી છે કે એવો ઠરાવ હતો કે પાંડવોએ તેરમે વર્ષે અજ્ઞાતવાસમાં રહેવું,હવે એ અજ્ઞાતવાસનું તેરમું વર્ષ

પૂરું થયું નથી અને અર્જુન આપણી સામે આવ્યો છે,એટલે પાંડવોએ ફરીથી બાર વર્ષ વનમાં રહેવાનું થશે.તેઓ સમયની

ગણતરીમાં ચૂક ખાઈ ગયા હોય કે અમારી કોઈ ગફલત થતી હોય તો સમયના સંબંધમાં નિર્ણય કરવા ભીષ્મ યોગ્ય છે.

આપણે તો મત્સ્યદેશની ઉત્તર તરફની ગાયો મેળવવાને યુદ્ધ કરી રહ્યા છીએ,ત્યારે અર્જુન જ સામેથી આવ્યો હોય 

તો તેમાં આપણે કોનો અપરાધ કર્યો ગણાય? (5)

Sep 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-613

 
અધ્યાય-૪૬-અર્જુનનો શંખનાદ તથા ઉત્પાતો 

II वैशंपायन उवाच II उत्तरं सारथिं कृत्वा शमीं कृत्वा प्रदिक्षणम् I आयुधं सर्वमादाय प्रपयो पांडवर्षभ: II १ II
વૈશંપાયન બોલ્યા-પછી,પાંડવવર અર્જુને ઉત્તરને સારથિ કર્યો,શમીવૃક્ષની પ્રદિક્ષણા કરી અને સર્વ આયુધો લઈ 
ત્યાંથી પ્રયાણ કર્યું.જતી વખતે તેણે તે રથમાંથી સિંહધ્વજ ઉતારીને તેને શમીવૃક્ષના મૂળ આગળ મુક્યો અને 
વિશ્વકર્માએ નિર્મેલી,દૈવી માયાવાળી અને શત્રુઓનો સંહાર કરે એવા વાનરના ચિહ્નવાળી સોનેરી ધ્વજાનું અને 
અગ્નિદેવના પ્રસાદથી મળેલા રથનું મનમાં ચિંતન કર્યું કે તરત જ તે રથ આકાશમાંથી નીચે ઉતરી આવ્યો.
અગ્નિદેવે પોતાની સર્વ ભૂતમંડળીને રથના ધ્વજ પર રહેવાનો આદેશ આપ્યો.