Jan 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-728

 

અધ્યાય-૬૨-કર્ણ અને ભીષ્મ વચ્ચે વિવાદ 

II वैशंपायन उवाच II तथा तु प्रुच्छमतंतीव पार्थ वैचित्रवीर्यतमचिंतयित्वा I उवाच कर्णो धृतराष्ट्रपुत्रं प्रहर्षयन्सन्सदि कौरवाणां II १ II

વૈશંપાયને કહ્યું-એ પ્રમાણે વિચિત્રવીર્યનો પુત્ર ધૃતરાષ્ટ્ર,અર્જુનના સંબંધમાં અતિશય પૂછ્યા કરતો હતો,ત્યારે તેના પર લક્ષ્ય ના આપતાં,તે સભામાં દુર્યોધનને આનંદ આપતો કર્ણ બોલ્યો કે-'પૂર્વે,'હું બ્રાહ્મણ છું' એવું પરશુરામને મિથ્યા કહીને,મેં તેમની પાસેથી બ્રહ્માસ્ત્ર સંપાદન કર્યું હતું,પણ મારુ કપટ જાણ્યા પછી તેમણે તે જ વખતે મને કહ્યું હતું કે-'તને અંતકાળે એ અસ્ત્રનું સ્મરણ થશે નહિ' જો કે મારો અપરાધ મોટો હતો છતાં તે તેજસ્વી ગુરુએ મને બીજો શાપ આપ્યો નહોતો,કારણકે મેં સેવાથી ને પુરુષાર્થથી તેમનું મન પ્રસન્ન કર્યું હતું.તે બ્રહ્માસ્ત્ર મારી પાસે છે ને મારુ આયુષ્ય પણ બાકી છે એટલે હું અર્જુનને જીતવા સમર્થ છું અને તેથી તેના વધનો ભાર હું મારે માથે લઉં છું.તે ઋષિનો કૃપાપાત્ર હું એક પલકારામાં પાંચાલ,મત્સ્ય આદિને અને પુત્ર-પૌત્રોની સાથે પાંડવોને મારીને તે લોકોને સ્વાધીન કરીશ.પિતામહ,દ્રોણ -આદિ ભલે તારી સાથે રહે,હું માત્ર મુખ્ય સૈન્યની સાથે જઈને પાંડવોનો નાશ કરીશ.એ ભાર હું મારા પર લઉં છું' (6)

ત્યારે ભીષ્મએ કર્ણને કહ્યું કે-'હે કાળ વડે વિપરીત બુદ્ધિવાળા કર્ણ,તું શું બડાશ મારે છે?(તું તો મરવાનો જ છે) તું એ જાણતો નથી કે તારો નાશ થવાથી કૌરવોનો પણ નાશ થશે? કેવળ,શ્રીકૃષ્ણની સહાયતાથી અર્જુને અગ્નિ પાસે ખાંડવવન બળાવતાં જે પરાક્રમ કર્યું હતું,તે સાંભળીને પણ તારે તારા મનને વશ કરવું જોઈએ.ઇન્દ્રે તને જે શક્તિ આપી છે તે,શ્રીકૃષ્ણ સુદર્શનના પ્રહારથી તોડીને ભસ્મ કરશે.તારું જે સર્પમુખ બાણ છે તે અર્જુનના બાણોથી હણાઇને તારી સાથે જ નાશ પામશે.

બાણાસુર,નરકાસુર,તારા જેવા ને તારા કરતાં પણ શ્રેષ્ઠ શત્રુઓનો નાશ કરે તેવા શ્રીકૃષ્ણ અર્જુનનું રક્ષણ કરે છે'(11)


કર્ણ બોલ્યો-ખરેખર ભીષ્મના કહેવા પ્રમાણે હું પણ શ્રીકૃષ્ણને શ્રેષ્ઠ મહાત્મા માનું છું,પણ ભીષ્મએ જે કઠોર વચનો મને કહ્યાં તેનું ફળ પણ તેમણે સાંભળી લેવું.આજથી હું મારા શસ્ત્રોનો ત્યાગ કરું છું.પિતામહ હવે મને યુદ્ધમાં કે યુદ્ધ સંબંધી સભામાં કદી જોશે નહિ.હે ભીષ્મ,તમે યુદ્ધમાંથી કેવળ વિરામ પામી જશો ત્યારે જ યુદ્ધમાં,સર્વ મારા પ્રભાવને જોશે.(13)


આ પ્રમાણે કહીને કર્ણ તે સભા છોડીને ચાલ્યો ગયો ત્યારે ભીષ્મ દુર્યોધનને કહેવા લાગ્યા કે-

'આ સૂતપુત્ર,સત્ય પ્રતિજ્ઞાવાળો તો ખરો.તેણે કહ્યું હતું કે-'આ જયદ્રથ-આદિ સર્વ રાજાઓ જોતા ઉભા રહેશે ને હું હંમેશા દશ હજાર યોદ્ધાઓને મારીશ' પણ હવે પ્રસંગ આવતાં તે શા માટે આ ભાર ઉપાડે? અર્થાંત શસ્ત્રત્યાગ કરે જ.પણ પેલી તરફ ભીમસેન તો વ્યુહની સામે વ્યૂહ ગોઠવી લોકોનો સંહાર વાળશે તે તમે જોજો.જયારે કર્ણે પરશુરામની આગળ 'હું બ્રાહ્મણ છું'એમ કહીને અસ્ત્ર સંપાદન કર્યું ત્યારથી જ તે નરાધમ કર્ણનાં  ધર્મ ને તપ નાશ પામ્યાં  છે'

આમ કર્ણ ચાલ્યો ગયો ને ભીષ્મે ભાષણ કર્યું ત્યારે દુર્યોધન ભીષ્મને કહેવા લાગ્યો.(18)

અધ્યાય-62-સમાપ્ત