Jan 16, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-397

 

અધ્યાય-૧૦૩-અગસ્ત્યનું માહાત્મ્ય 


II देवा उचु II तव प्रसादाद्वयते प्रजाः सर्वाश्चतुर्विधाः I त भविता भावयन्ति हव्यकव्यैर्दिवोकस II १ II

દેવો બોલ્યા-'તમારી કૃપાથી ચારે પ્રકારની સર્વ પ્રજાઓ વધે છે.વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ હવ્યો ને દ્રવ્યોથી દેવોની

વૃદ્ધિ કરે છે.આમ તમારી કૃપાથી જ રક્ષાયેલા લોકો એકબીજાને આશરે રહીને વૃદ્ધિ પામે છે.પણ અત્યારે લોકોને

ભારે ભય આવી પડ્યો છે.અમારાથી સમજાતું નથી કે આ બ્રાહ્મણોને રાતે કોણ મારી નાખે છે?

બ્રાહ્મણોનો નાશ થતાં પૃથ્વી લય પામશે,ને પૃથ્વી ક્ષીણ થતાં સ્વર્ગ પણ લય પામશે.માટે 

હે મહાબાહુ,હે જગત્પતિ,તમે સર્વ લોકોનું રક્ષણ કરો,તમારી કૃપાથી જ તેઓ વિનાશ પામશે નહિ (5)

વિષ્ણુ બોલ્યા-હે દેવો,પ્રજાઓના નાશનું સર્વ કારણ હું જાણું છું.કાલેય નામના મહાભયંકર દાનવો,વૃત્રના મરણ પછી સમુદ્રમાં પેઠા છે ને ત્યાં છુપાઈ રહીને રાતે તેઓ ઋષિ બ્રાહ્મણીને મારી નાખે છે.સમુદ્રનો આશ્રય લઈને બેઠેલા આ દાનવોનો નાશ કરી શકાય તેમ નથી,આથી સમુદ્રનો લય થાય તેવો તમારે વિચાર કરવો જોઈએ.

અગસ્ત્ય વિના કોણ સાગરને પી જવાને સમર્થ છે? સમુદ્રના લય વિના આ દાનવો મરે તેમ નથી'


ત્યારે વિષ્ણુના કહેવા મુજબ,તેમની આજ્ઞા લઈને દેવો અગસ્ત્યના આશ્રમે ગયા.ને તેમની સ્તુતિ કરવા લાગ્યા.કે-

'પૂર્વે નહુષપુત્રથી ત્રાસી બેઠેલા લોકોના તમે જ શરણરૃપ હતા.

એ લોકકંટકને તમે જ ઇન્દ્રના ઐશ્વર્યથી તથા સ્વર્ગલોકમાંથી નીચે પાડ્યો હતો.

સૂર્ય પર ક્રોધ કરીને વિંધ્યાચલ એકદમ ઊંચો વધતો હતો,ત્યારે આપની આજ્ઞાને ન ઉથાપીને હવે તે 

વધુ વધતો નથી.જયારે લોકો અંધકારમાં ઘેરાયેલા છે ને પ્રજાઓ મૃત્યુથી પીડાઈ છે,

ત્યારે તમને  જ નાથરૂપે પામીને તેઓ પરમ શાંતિ પામે છે.

હે ભગવન,અમારા માટે તમે નિરંતર આધારરૂપ છો.

એટલે દુઃખથી પીડાઈ રહેલા અમે તમારી પાસે વરદાન માગીએ છીએ (18) 

અધ્યાય-૧૦૩-સમાપ્ત