Sep 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-293

 
અધ્યાય-૩-સૂર્યોપાસના અને કામ્યકવનમાં પ્રવેશ 

II वैशंपायन उवाच II शौनकेनैवमुक्तस्तु कुन्तीपुत्रो युधिष्ठिर: I पुरोहितमुपागम्य भ्रातृमध्येSब्रवीदिदम् II १ II

વૈશંપાયન બોલ્યા-શૌનકે આ પ્રમાણે કહ્યું એટલે કુંતીપુત્ર યુધિષ્ઠિર ધૌમ્ય પુરોહિતની પાસે ગયા ને ભાઈઓની સમક્ષ બોલ્યા કે-'વેદમાં પારંગત એવા આ બ્રાહ્મણો આપણી પાછળ આવી રહયા છે,પણ અત્યંત દુઃખમાં આવી પડેલો હું,તેમનું પોષણ કરવાને ને તેમને દાન આપવાને શક્તિમાન નથી,ને હું તેમનો ત્યાગ પણ કરી શકું એમ નથી. તો હે ભગવન,મને કહો કે આ સંબંધમાં મારે શું કરવું ઉચિત છે?' (3)

ત્યારે,ધૌમ્ય ઋષિ,થોડી વાર ધર્મપૂર્વકની તે ગતિનું ચિંતન કરી ને બોલ્યા-'પૂર્વે સર્જન પામેલાં પ્રાણીઓ ક્ષુધાથી અત્યંત પીડાઈ રહ્યાં હતાં,ત્યારે સૂર્ય તેમનો પિતા હોય તેમ દયા લાવીને ઉત્તરાયણમાં ગયો ને પોતાના કિરણો વડે તેણે તેજોરસ જળોને ખેંચીને પછી દક્ષિણાયનમાં ફરી તેણે પૃથ્વી પર જળવૃષ્ટિ કરવા માંડી.ને આમ તે ક્ષેત્રરૂપ થયો,ત્યારે ઔષધિપતિ ચંદ્રે તે જળ વડે ઔષધિઓ ઉત્પન્ન કરી.કે જે પૃથ્વીનાં પ્રાણીઓનું અન્ન છે.આમ,

પ્રાણીઓના પ્રાણને ધારણ કરનારું અન્ન સુર્યમય જ છે,એ સૂર્ય સકલ પ્રાણીઓનો નાથ છે,માટે તું તેને શરણે જા.

ભીમ,કાર્તવીર્ય,પૃથુ અને નહુષે,તપ,યોગ અને સમાધિમાં રહીને પ્રજાઓનો આપત્તિમાંથી ઉદ્ધાર કર્યો છે,

હે યુધિષ્ઠિર,તું પણ તેમની જેમ કર્મથી શુદ્ધ છે,એટલે તપ કરી ધર્મપૂર્વક બ્રાહ્મણોનું પોષણ કર.(12)


જન્મેજય બોલ્યા-'બ્રાહ્મણોને અર્થે તે યુધિષ્ઠિરે,સૂર્યને કયા સ્તોત્રથી આરાધ્યા હતા?'

વૈશંપાયન બોલ્યા-'ધૌમ્ય ઋષિએ યુધિષ્ઠિરને જે એકસો આઠ પુણ્યનામો યથાવિધિ કહ્યા હતા તે સાંભળો.


સૂર્ય,અર્યમા,ભગ,ત્વષ્ટા,પૂષા,અર્ક,સવિતા,રવિ,ગભસ્તિમાન,અજ,કાલ,મૃત્યુ,ધાતા,પ્રભાકર,પૃથ્વી,આપ,તેજ,ખ,

વાયુ,પરાયણ,સોમ,બૃહસ્પતિ,શુક્ર,બુધ,અંગારક,ઇન્દ્ર,વિવસ્માન,દીપ્તાંશુ,શુચિ,શૌરિ,શનૈશ્વર,બ્રહ્મા,વિષ્ણુ,રુદ્ર,

સ્કંદ,વૈશ્રવણ,યમ,વૈદ્યુત,જઠરાગ્નિ,ઈંધણાગ્નિ,તેજસપતિ,ધર્મધ્વજ,વેદકર્તા,વેદાંગ,વેદવાહન,કૃત,ત્રેતા,દ્વાપર,કલિ,

કળા,કાષ્ઠા,મુહૂર્ત,ક્ષપા,યામ,ક્ષણ,સંવત્સકર,અશ્વસ્થ,કાળચક્ર,વિભાવસુ,પુરુષ,શાશ્વત,યોગી,વ્યકતાવ્યક્ત,

સનાતન,કાલાધ્યક્ષ,પ્રજાધ્યક્ષ,વિશ્વકર્મા,તમોનુદ,વરુણ,સાગર,અંશ,જીમૂત,જીવન,અરિહા,ભુતાશ્રય,ભૂતપતિ,

સર્વલોકનમસ્કૃત,સ્ત્રષ્ટા,સંવર્તકવહનિ,સર્વાદિ,અલોલુપ,અનંત,કપિલ,ભાનુ,કામદ,સર્વતોમુખ,શચ,વિશાલ,વરદા,

સર્વધાતુનિષેચિતા,મનઃસુપર્ણ,ભૂતાદિ,શીઘ્રમ,પ્રાણધારક,ધન્વંતરિ,ધૂમકેતુ,આદિદેવ,અદિતિસૂત,દ્વાદશાત્મા,

અરવિંદાક્ષ,પિતા,માતા,પિતામહ,સ્વર્ગદ્વાર,પ્રજાદ્વાર,મોક્ષદ્વાર,ત્રિવિષ્ટપ,દેહકર્તા,પ્રશાંતાત્મા,વિશ્વાત્મા,

વિશ્વતોમુખ,ચરાચરાત્મા,સુક્ષ્માત્મા,મૈત્રેય,અને કરુણાન્વિત (27)


અમાપ,તેજસ્વી એવા કીર્તનીય સૂર્યના એકસોઆઠ નામ સ્વયં બ્રહ્માએ કહ્યા છે.

સુરગણ,પિતૃઓ,અને યક્ષો જેને સેવી રહયા છે.અસુરો,નિશાચરો,અને સિદ્ધો જેને વંદન કરે છે.અને 

જે,શ્રેષ્ઠ સુવર્ણના તથા હોમનલના જેવી કાંતિવાળા છે,તે ભાસ્કરને મંગલ હિતાર્થે,હું વારંવાર પ્રણામ કરું છું.(29)


જે મનુષ્ય,સૂર્યોદય વખતે,સ્વસ્થચિત્ત થઈને આનો પાઠ કરે છે,તે પુત્ર,પત્ની,ધન-રત્નનો સંચય,તેમ જ પૂર્વજન્મનું સ્મરણ પામે છે.વળી તે પુરુષ ધૃતિ અને મેધાને પ્રાપ્ત કરે છે.દેવશ્રેષ્ઠ સૂર્યના આ સ્તોત્રનું જે મનુષ્ય,પવિત્ર,નિર્મલ અને એકાગ્ર મનથી કીર્તન કરે છે,તે શોકરૂપી દાવાગ્નિવાળા આ ભવસાગરમાંથી મુક્ત થાય છે 

અને તેની મનમાં ધારેલી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે (31)

INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE