Dec 10, 2022

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-040

અધ્યાય-૫૫-આસ્તીકે કરેલી રાજાની સ્તુતિ 


II आस्तिक उवाच II सोमस्य यज्ञो वरुणस्य यज्ञः प्रजापतेर्यज्ञ आसीत् प्रयागे I 

तथा यज्ञोSयं तव भारतग्र्य पारिक्षित स्वस्ति नोSस्तु प्रियेभ्य II १ II

આસ્તીક બોલ્યો-હે પરીક્ષિત પુત્ર,જન્મેજય,જેવો સોમનો યજ્ઞ થયો હતો,જેવો વરુણનો યજ્ઞ થયો હતો,

અને જેવો પ્રયાગમાં પ્રજાપતિનો યજ્ઞ થયો હતો,તેવો તારો આ યજ્ઞ છે.તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,

હે જન્મેજય,ઇન્દ્રે સો યજ્ઞો કાર્ય હતા,પણ તારો આ યજ્ઞ એવા દશ હજાર યજ્ઞોની બરાબર આવે છે.

તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.

હે રાજા,જેવો યમનો યજ્ઞ હતો,જેવો રંતિદેવનો યજ્ઞ હતો,જેવો ગય રાજાનો યજ્ઞ હતો,જેવો શશબિંદુનો 

યજ્ઞ હતો,જેવો કુબેર રાજાનો યજ્ઞ હતો,જેવો નૃગરાજાનો યજ્ઞ હતો,જેવો અજમીઢનો યજ્ઞ હતો,

જેવો રામચંદ્રજીનો યજ્ઞ હતો,તેવો તારો આ યજ્ઞ છે,તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ.

જેવો યુધિષ્ઠિરનો યજ્ઞ સ્વર્ગલોકમાં પ્રખ્યાત છે,તેવો તારો આ યજ્ઞ છે,જેવો,કૃષ્ણદ્વૈપાયને,પોતે જ 

કર્માનુષ્ઠાન કરી,યજ્ઞ કર્યો હતો તેવો જ તારો આ યજ્ઞ છે,તો,અમારા પ્રિયજનોનું કલ્યાણ થાઓ,(1-7)


હે રાજા,ઈંદ્રરાજના યજ્ઞની જેમ,તારા આ સત્રમાં સૂર્યસમાં વર્ચસ્વી સભાસદો વિરાજ્યા છે.કે જેમને માટે,

એવું કોઈ જ જ્ઞાન નથી કે તેમને જાણવાનું બાકી હોય,તેમને આપેલું દાન કદી નાશ પામે તેમ નથી.

ભગવાન દ્વૈપાયન જેવા ઋત્વિજ ત્રણે લોકોમાંયે નથી.એવો મારો નિશ્ચય છે,સર્વ કાર્યમાં નિપુણ થયેલા એમનાજ શિષ્યો ઋત્વિજ થઈને આ ભૂમંડળ પર વિચરે છે.આ સૃષ્ટિ પર તારા જેવો કોઈ બીજો પ્રજાપાલક રાજા નથી.

તારી ધીરજ પર હું સદા પ્રસન્ન છું,તું વરુણ છે,તું ધર્મરાજ યમ છે,તું સાક્ષાત ઇન્દ્રની જેમ,આ લોકમાં,અહીં,પ્રજાનો ત્રાતા છે,હું પુરુષેન્દ્ર,હું માનું છું કે,આ લોકમાં તારા જેવો બીજો કોઈ રાજા છે નહિ અને હતો પણ નહિ.


હે રાજા,તું ભીષ્મની જેમ શોભી રહ્યો છે,વાલ્મિકીના જેમ ટેરો ગૂઢ પ્રભાવ છે,અને વસિષ્ઠની જેમ ક્રોધ તારા વશમાં છે,તારું પ્રભુત્વ હું ઇન્દ્રના જેવું માનું છું,અને નારાયણના જેવી તારી કાંતિ છે,તું ધર્મનો નિશ્ચય જાણનાર છે અને કૃષ્ણની જેમ,સર્વગુણ સંપન્ન છે.જે,તું વસુઓની લક્ષ્મીનું નિવાસસ્થાન છે,તેમ,યજ્ઞોનું પણ તું આધાર સ્થાન છે,

બળમાં તું દંભોદભવ સમાન છે,તું પરશુરામની જેમ અસ્ત્ર-શસ્ત્ર જાણે છે,તારું તેજ ઔર્વ તુલ્ય છે અને 

ભગીરથના જેવો તું દુષ્પ્રેક્ષ્ય છે (8-16)


આસ્તીકે,આ પ્રમાણે સ્તુતિ કરી,એટલે રાજા,સભાસદો,ઋત્વિજો અને અગ્નિ પ્રસન્ન થયા,

અને તેના હૃદયના ભાવો જોઈને રાજા જન્મેજય બોલ્યો કે-(17)

અધ્યાય-55-સમાપ્ત 

 INDEX PAGE---NEXT PAGE---PREVIOUS PAGE