અધ્યાય-૭૦-હેતુવાળાં શ્રીકૃષ્ણનાં નામો
II धृतराष्ट्र उवाच II भूयो मे पुंडरिकाक्षं संजयाचक्ष्व पृच्छतः I नामकर्मावित्तात प्राप्यां पुरुषोत्तमं II १ II
ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,હું તને પ્રશ્ન કરું છું માટે ફરી તું કમળનયન શ્રીકૃષ્ણ સંબંધી કથા કહે,
જે પુરુષોત્તમનાં નામો તથા કર્મોનો અર્થ જાણીને હું તેમને પ્રાપ્ત થાઉં.
સંજયે કહ્યું-મેં શ્રીકૃષ્ણનાં નામોનો શુભ અર્થ સાંભળ્યો છે,તેમાં હું જેટલું જાણું છું તેટલું તમને કહીશ.કારણકે શ્રીકૃષ્ણ વાણીના અવિષય છે.એ શ્રીકૃષ્ણ માયા વડે આવરણ કરે છે તેથી જગત એમનામાં વાસ કરે છે તેથી અને પ્રકાશમાન હોવાથી 'વાસુદેવ' કહેવાય છે.(અથવા દેવો એમનામાં વાસ કરે છે તેથી તે વાસુદેવ કહેવાય છે)સર્વવ્યાપક હોવાથી તે 'વિષ્ણુ' કહેવાય છે.
'મા'એટલે આત્માની ઉપાધિરૂપ બુદ્ધિવૃત્તિ,કે જે મૌન,ધ્યાન તથા યોગથી દૂર થાય છે તેથી તેમનું નામ 'માધવ' છે.