Jul 1, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-854

 

અધ્યાય-૬-પૃથ્વી વગેરેનાં માપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II उक्तो द्वीपस्य संक्षेपो विधिवद् बुद्धिमंस्त्वया I तत्वज्ञश्चामि सर्वस्य विस्तरं ब्रुहि संजय II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તેં મને વિધિ પ્રમાણે,એ દ્વીપનું સંક્ષેપથી વર્ણન કહ્યું,પણ મને તે વિસ્તારથી કહે.

પ્રથમ સસલાના જેવા લક્ષણમાં એટલે કે પરમાત્માને જણાવનારા,માયાશબલ હાર્દબ્રહ્મમાં આ માયાકલ્પિત પૃથ્વીનો 

જે અવકાશ દેખાય છે તેનું પ્રમાણ કહે અને તે પછી પીપળારૂપ ભાગનું વર્ણન કહેજે.

સંજયે કહ્યું-હે મહારાજ,હેમકૂટ,નિષધ,નીલ,શ્વેત અને શૃંગવાન-આ છ ખંડ પાડનારા પર્વતો,પશ્ચિમથી પૂર્વ તરફ લાંબા છે ને બંને તરફથી સમુદ્રમાં પેઠેલા છે.આ પર્વતો એકબીજાથી હજારો યોજનોના અંતરે આવેલા છે ને તેમાં રમણીય દેશો રહેલા છે જે પ્રદેશો 'વર્ષ' નામથી ઓળખાય છે.આપણે રહીએ છીએ તે 'ભારતવર્ષ' છે,તેનાથી ઉત્તરે 'હૈંમવત વર્ષ'છે,હેમકૂટથી પેલી તરફ આવેલો ખંડ 'હરિવર્ષ' કહેવાય છે.

Jun 30, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-853

 

અધ્યાય-૫-સુદર્શન દ્વીપનું વર્ણન 


II धृतराष्ट्र उवाच II नदीनां पर्वतानां च नामधेवानि संजय I तथा जनपदानां च ये चान्ये भूमिमाश्रिताः II १ II

ધૃતરાષ્ટ્રે કહ્યું-હે સંજય,તું નદીઓનાં,પર્વતોનાં,દેશોનાં,અને પૃથ્વી પર રહેલા પ્રદેશોનાં નામો મને કહે.

આખી પૃથ્વીનું સર્વ તરફનું પ્રમાણ અને અરણ્યો વગેરે સંપૂર્ણતાથી મને કહે.

સંજયે કહ્યું-હે મહારાજ,એકંદર રીતે પૃથ્વી વગેરે પંચમહાભૂતો જ પિંડ ને બ્રહ્માંડરૂપ બનેલાં છે,માટે જ્ઞાનીઓ આ જગતમાં રહેલી ચૈતન્યથી ફેલાયેલી સર્વ વસ્તુઓને સમાન (એક)કહે છે.પૃથ્વી,જળ,અગ્નિ,વાયુ અને આકાશ-આ પાંચ મહાભુતો છે.

તેમાં મુખ્ય એવી પૃથ્વીના શબ્દ,સ્પર્શ,રૂપ,રસ અને ગંધ એ પાંચ ગુણો કહ્યા છે.જળમાં ગંધ સિવાયના ચાર ગુણો છે.

શબ્દ,સ્પર્શ અને રૂપ-આ ત્રણ ગુણો તેજના છે.વાયુના શબ્દ અને સ્પર્શ એ બે ગુણો છે.અને આકાશનો એક શબ્દ જ ગુણ છે.

Jun 29, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-852

 

અધ્યાય-૪-પૃથ્વીના ગુણોનું વર્ણન 


II वैशंपायन उवाच II एवमुक्त्वा ययौ व्यासो धृतराष्ट्राय धीमते I धृतराष्ट्रो पितच्छ्रुत्वा ध्यानमेवान्वपद्यत II १ II

વૈશંપાયને કહ્યું-બુદ્ધિમાન ધૃતરાષ્ટ્રને એ પ્રમાણે કહીને વ્યાસજી ચાલ્યા ગયા,પછી,ધૃતરાષ્ટ્રે બે ઘડી વિચાર કરીને નિસાસા નાખીને સંજયને પૂછ્યું કે-હે સંજય,યુદ્ધને અભિનંદન આપનારા આ શૂરા રાજાઓ,પૃથ્વીનું ઐશ્વર્ય મેળવવાની ઈચ્છાથી એકબીજાને સાંખી શકતા નથી અને શસ્ત્રો વડે એકબીજાનો નાશ કરે છે,એ ઉપરથી હું માનું છું કે પૃથ્વીમાં બહુ ગુણો રહેલા છે,તું મને તે પૃથ્વીના ગુણો કહે.હમણાં આ કુરુજાંગલ દેશમાં,જુદાજુદા દેશદેશથી ને નગરોથી આવેલા વીર પુરુષોના દેશોના ને નગરોના વાસ્તવિક માપને હું સાંભળવાની ઈચ્છા રાખું છું.તું વ્યાસના પ્રભાવથી દિવ્યદૃષ્ટિ યુક્ત થયો છે,તો તે મને કહે.

Jun 28, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-851

 

અધ્યાય-૩-દુર્નિમિત્ત કથન 


II व्यास उवाच II खरा घोषु प्रजायंते रमन्ते मातृभिः सुताः I अनार्तवं पुष्पफ़लम् दर्शयति वनद्रुमाः II १ II

વ્યાસે કહ્યું-ગાયોમાં ગધેડાઓ ઉત્પન્ન થાય છે,પુત્રો માતાની સાથે રમણ કરે છે અને વનનાં વૃક્ષો વગર ઋતુએ પુષ્પો ને ફળો આપે છે.ગર્ભિણી અને વાંઝણી સ્ત્રીઓ પણ મહા ભયાનક પ્રજાઓને જન્મ આપે છે.માંસાહારી પ્રાણીઓ,પક્ષીઓની સાથે બેસીને ખાય છે.વિચિત્ર અને અનેક ઇન્દ્રિયોવાળાં પશુઓ જન્મે છે.ત્રણ પગવાળા મોર તથા ચાર દાઢ અને શિંગડાંવાળા ગરુડો ઉત્પન્ન થાય છે અને તેઓ મોઢાં પહોળાં કરીને અશુભ વાણી બોલ્યા કરે છે.(4)

Jun 27, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-850

 

અધ્યાય-૨-વ્યાસદર્શન અને દુશ્વિહ્ન કથન 


II वैशंपायन उवाच II ततः पूर्वापरे सैन्ये समीक्ष्य भगवानृपि: I सर्ववेदविदां श्रेष्ठो व्यासः सत्यवतीसुतः II १ II

વૈશંપાયને કહ્યું-પછી,પૂર્વ અને  પશ્ચિમમાં ગોઠવાયેલાં તે બંને પક્ષોનાં સૈન્યોને જોઈને,સર્વ વેદવેત્તાઓમાં શ્રેષ્ઠ,ભારતોના પિતામહ,સત્યવતીના પુત્ર ને ભૂત,ભવિષ્ય વર્તમાનને જાણનારા વ્યાસ ઋષિ,તે વખતે પુત્રોના અન્યાયનો વિચાર કરતા,શોક ને દુઃખી થયેલા,વિચિત્રવીર્યના પુત્ર ધૃતરાષ્ટ્રને મળ્યા ને રહસ્યયુક્ત વચનો કહેવા લાગ્યા કે-હે રાજા,તારા પુત્રોનો તથા બીજા રાજાઓનો કાળ બદલાયો છે.તેઓ સંગ્રામમાં સામસામે આવીને,પરસ્પરનો નાશ કરશે જ.તેઓ મૃત્યુના ઝપાટામાં આવી પડ્યા છે,ને અવશ્ય નાશ પામશે.માટે કાળનું વિપરીતપણું જાણીને તું મનમાં શોક કરીશ નહિ.તું યુદ્ધ જોવા ઈચ્છતો હોય તો હું તને ચક્ષુ આપું,કે જેથી તું આ યુદ્ધને પ્રત્યક્ષ જોઈ શકીશ.(6)

Jun 26, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-849

 

૬-ભીષ્મ પર્વ 

જંબુખંડ વિનિર્મણ પર્વ 

અધ્યાય-૧-યુદ્ધનિયમ 


II मंगल श्लोक II नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमम् I देवी सरस्वती चैव ततो जयमुदीरयेत् II II १ II

શ્રી નારાયણને,નરોત્તમ એવા નર ભગવાનને અને દેવી સરસ્વતીને પ્રણામ કરીને 

તે પછી,જય (મહાભારત) નામધારી ભારતાદિક ગ્રંથનો પ્રારંભ કરવો.