Oct 17, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-953

 

અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥ 

સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.

અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.

Oct 16, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-952

 

અધ્યાય-૭૧-પાંચમો દિવસ-સંકુલ યુદ્ધ (ચાલુ)


॥ संजय उवाच ॥ द्रष्ट्वा भीष्मेण संसक्तान्भ्रात्रुनन्यश्च पार्थिवान I समभ्यधावदांगेययुद्यतास्त्रो धनंजयः ॥१॥ 

સંજયે કહ્યું-ભીષ્મ પિતામહ સામે ધસી ગયેલા પોતાના ભાઈઓને તથા અન્ય રાજાઓને જોઈને અર્જુન પણ ભીષ્મ સામે ધસ્યો.ગાંડીવના ટંકાર ને શંખના નાદને સાંભળીને કૌરવ યોદ્ધાઓમાં ભય ઉતપન્ન થયો.જેમ,પ્રચંડ વાયુવાળો મેઘ વીજળીના ચમકારા અને ગર્જનાઓની સાથે ચારે બાજુ વરસી પડે,તેમ તે અર્જુન પણ બાણોનો વરસાદ વરસાવી સર્વ દિશાઓને છાઈ દેવા લાગ્યો.થાકી ગયેલાં વાહનોવાળા,હણાયેલા ઘોડાઓવાળા,અને ભયભીત થઈને બેભાન થયેલા તમારા યોદ્ધાઓ બધા સાથે મળીને ભીષ્મ પાસે જ ભરાઈ ગયા,કારણકે આ સંગ્રામમાં તેઓને ભીષ્મનું જ શરણ હતું.

Oct 15, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-951

 

અધ્યાય-૭૦-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ 


॥ संजय उवाच ॥ अकरोत्तुमुलं युद्धं भीष्मः शांतनवस्तदा I भीमसेनभयादिच्छन्पुत्रास्तारयितुं तव ॥१॥ 

સંજયે કહ્યું-તે દિવસે શાંતનુકુમાર ભીષ્મે,તમારા પુત્રોને ભીમસેનના ભયથી ઉગારાવાની ઈચ્છાથી તુમુલ યુદ્ધ કર્યું.

કૌરવો અને પાંડવોના મુખ્ય મુખ્ય યોદ્ધાઓનો નાશ કરનારું,બંને પક્ષના રાજાઓનું તે ભયંકર યુદ્ધ તે દિવસના પૂર્વભાગમાં શરુ થયું ત્યારે આકાશને ફાડી નાખે તેવો તુમુલ શબ્દ થઇ રહ્યો.વિજય મેળવવા માટે પરાક્રમ કરતા,મહાબળવાન યોદ્ધાઓ મોટા વૃષભની જેમ સામસામા ગર્જનાઓ કરતા હતા.તીક્ષ્ણ બાણોના પ્રહારથી રણભૂમિ પર પડતાં મસ્તકો,આકાશમાંથી પડતી પથ્થરોની વૃષ્ટિ સમાન જણાતાં હતાં.આખી યુદ્ધભૂમિ,કપાયેલાં શરીર ને શરીરના અવયવોથી છવાઈ ગઈ હતી.

Oct 14, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-950

 

અધ્યાય-૬૯-પાંચમો દિવસ-મકર અને શ્યેન વ્યૂહ 


॥ संजय उवाच ॥ व्युषितायां च शर्वर्या उदिते च दिवाकरे I उभे सेने महाराज युद्धायैव समीयतुः ॥१॥ 

સંજયે કહ્યું-રાત્રિ વીતી ગઈ અને પ્રભાતના સૂર્યનો ઉદય થતાં,બે સેનાઓ યુદ્ધ કરવા માટે સજ્જ થઈને ઉભી.તમારા દુષ્ટ વિચારના પરિણામથી તે વેળા પાંડવો ને કૌરવો સામસામા વ્યૂહરચના કરીને એકબીજા પર પ્રહાર કરવા તૈયાર થઇ રહ્યા.

ભીષ્મ,પોતાના મકરવ્યુહનું ચારે બાજુથી રક્ષણ કરતા હતા.ને મોટી રથીઓની સેનાથી વીંટાઇને આગળ નીકળી પડ્યા,યોગ્ય વિભાગમાં ઉભેલા રથીઓ,પાયદળો,હાથીઓ અને ઘોડેસ્વારો એકબીજાને અનુસરવા લાગ્યા.

Oct 13, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-949

 

અધ્યાય-૬૮-વિશ્વોપાખ્યાન-કેશવ સ્તવન 


॥ भीष्म उवाच ॥ शृणु चेदं महाराज ब्रह्मभूतं स्तवं मम I ब्रह्मर्षिमिश्च वेदैश्च यः पुराकणितो भुवि ॥१॥ 

ભીષ્મે કહ્યું-હે દુર્યોધન,એ વાસુદેવની 'બ્રહ્મરૂપ સ્તુતિ' મારી પાસેથી તું સાંભળ.પૂર્વના સમયમાં બ્રહ્મર્ષિઓ અને દેવોએ પૃથ્વી પર આ પ્રમાણે સ્તુતિ કરી હતી.'હે લોકોને ઉત્પન્ન કરનાર,હે ભાવને જાણનાર,તમે સાધ્યદેવોના અને બીજા સર્વ દેવોના પણ દેવ છો અને ઈશ્વર છો'-એમ નારદે કહેલું છે.'તમે ભૂત-ભવિષ્ય અને વર્તમાન સ્વરૂપ છો'-એમ માર્કંડેયે કહેલું છે.

'તમે યજ્ઞના પણ યજ્ઞ છો,તપના પણ તપ છો દેવના પણ દેવ છો'-એમ ભૃગુઋષિ કહે છે.

Oct 12, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-948

 

અધ્યાય-૬૭-વિશ્વોપાખ્યાન (ચાલુ)


॥ दुर्योधन उवाच ॥ वासुदेवो महद्भूतं सर्वलोकेन कथ्यते I तस्यागमं प्रतिष्ठां च ज्ञातमिच्छे पितामह ॥१॥ 

દુર્યોધને કહ્યું-હે ભીષ્મ પિતામહ,વાસુદેવ શ્રીકૃષ્ણ,સર્વલોકમાં મહાન પુરુષ કહેવાય છે 

તો હું તેમની ઉત્પત્તિ સ્થિતિને જાણવા ઈચ્છું છું.


ભીષ્મે કહ્યું-એ વાસુદેવ મહાઅદભુત પુરુષ છે.એ સર્વ દેવના પણ દેવ છે.એ પુંડરીકાક્ષ સિવાય બીજું આ જગતમાં કંઈ જ દેખાતું નથી.માર્કંડેય ઋષિ એ ગોવિંદના સંબંધમાં મહા અદભુત વર્ણન કરે છે-'સર્વ ભૂતોના આધારરૂપ મહાત્મા પુરુષોત્તમ,સર્વ ભૂતોનો આધાર છે.જળ,વાયુ અને તેજને એમણે ઉત્પન્ન કાર્ય છે તથા સર્વ લોકના ઈશ્વર એવા એ પ્રભુએ પૃથ્વીને પણ ઉત્પન્ન કરી છે.એ પુરુષોત્તમે પૂર્વે પોતાના યોગબળ વડે જળની અંદર શયન કર્યું હતું.તેમણે મુખથી અગ્નિને ઉત્પન્ન કર્યો છે,શ્વાસોશ્વાસમાંથી વાયુને ઉત્પન્ન કર્યો છે ને મનથી સરસ્વતી ને વેદોને ઉત્પન્ન કર્યા છે.