અધ્યાય-૫૭-ત્રીજો દિવસ-પ્રાતઃકાળનું યુદ્ધ
॥ संजय उवाच ॥ ततो व्युढेष्वनिकेषु तावकेषु परेषु च I धनन्जयो रथानिकमवधीत्तवभारत ॥१॥
સંજયે કહ્યું-હે ભારત,ઉપર પ્રમાણે જયારે બંને પક્ષોના સૈન્યની રચના થઇ ગઈ,ને યુદ્ધ શરુ થયું ત્યારે અર્જુને તમારા રથીઓનાં સૈન્યને હણવા માંડ્યું.કૌરવો પણ 'મરણ થાય તો પણ પાછા હટવું નહિ'એવો દૃઢ નિશ્ચય કરીને પાંડવો સામે લડવા લાગ્યા ને એકચિત્ત થઈને તેમણે પાંડવોની સેના સામે ધસારો કર્યો ને તેમની સેનામાં ભંગાણ પાડ્યું.પૃથ્વીની રજ એટલી ઊડતી હતી કે તે સૂર્યને પણ ઢાંકી દેતી હતી,દિશાઓ પણ ઓળખાતી નહોતી યોદ્ધાઓ માત્ર ધ્વજ વગેરેના ચિહનથી ને સંકેત ઉપરથી લડી રહ્યા હતા.તેમ છતાં દ્રોણાચાર્યથી રક્ષાયેલો કૌરવોનો વ્યુહ અને ભીમથી રક્ષાયેલો પાંડવોનો વ્યૂહ તૂટી શક્યો નહિ.