અધ્યાય-૯૦-આઠમો દિવસ (ચાલુ) અર્જુનપુત્ર ઈરાવાનનો વધ
॥ संजय उवाच ॥ वर्तमाने तथा रौद्रे राजन वारंवारत्रये I शकुनिः सौबलः श्रीमान्पांडवान्समुपाद्रवम ॥१॥
સંજયે કહ્યું-હે રાજન,એ મહાન યોદ્ધાઓનો નાશ કરનાર સંગ્રામ થઇ રહ્યો હતો ત્યારે શકુનિ અને યદુવંશમાં જન્મેલો હાર્દિકય પણ પાંડવોની સેના સામે ધસી ગયો.કામ્બોજ દેશના અને બીજા અનેક દેશના રાજાઓ પણ પોતાની સેના સાથે પાંડવો સામે ધસી જઈને તેમનો ઘેરો ઘાલવા લાગ્યા.ત્યારે પાંડવો તરફે અર્જુનપુત્ર ઈરાવાન શસ્ત્રોથી સજ્જ થઈને તેમની સામે આવ્યો.એ અર્જુનનો પુત્ર મહાપરાક્રમી હતો ને તે નાગરાજ ઐરાવતની પુત્રીથી ઉત્પન્ન થયેલો હતો.જયારે ગરુડે,એ નાગપુત્રીના ધણીને મારી નાખ્યો હતો ત્યારે પોતાને કોઈ સંતાન નહિ હોવાથી તે અતિ શોકાતુર થઇ હતી,તેથી નાગરાજ ઐરાવતે એ પોતાની પુત્રીને અર્જુન સાથે પરણાવી હતી.આ અર્જુનનો પુત્ર ઈરાવાન પરક્ષેત્રમાં જન્મેલો હતો,ને એના દુષ્ટ કાકા અશ્વસેને અર્જુન પરના દ્વેષને લીધે તેનો ત્યાગ કર્યો હતો જેથી તેની માતાએ,તેને નાગલોકમાં રાખીને ઉછેર્યો હતો.એક વખતે જયારે અર્જુન સ્વર્ગલોકમાં ગયો છે તેમ ઈરાવાનના સાંભળવામાં આવ્યું ત્યારે તે ઇંદ્રલોકમાં ગયો હતો ને તે જયારે અર્જુનને મળ્યો ત્યારે અર્જુને પોતાના પુત્રને કહ્યું હતું કે-'જયારે અમારે યુદ્ધ કરવાનો પ્રસંગ થાય ત્યારે તારે અમને સહાય કરવી' એટલે અર્જુનને આપેલા વચનને સંભારીને ઈરાવાન અહીં યુદ્ધ કરવા આવ્યો છે.તે અનેક ઈચ્છા પ્રમાણે વેગવાળા ને વર્ણવાળા અનેક ઘોડાઓથી વીંટાયેલો છે.





