અધ્યાય-૭૨-પાંચમો દિવસ (ચાલુ)-સંકુલ યુદ્ધ
॥ संजय उवाच ॥ शिखंडी सहमत्स्येन विराटेन विशांपते I भीष्ममशु महेष्वासममसद सुदुर्जयम् ॥१॥
સંજયે કહ્યું-હે રાજા,મત્સ્યરાજા અને વિરાટરાજાને સાથે લઈને શિખંડી,અતિ દુર્જય મોટા ધનુર્ધારી ભીષ્મ પાસે આવી પહોંચ્યો.અને અર્જુન,દ્રોણાચાર્ય,કૃપાચાર્ય,વિકર્ણ અને બીજા શૂરા રાજાઓની સામો યુદ્ધ કરવા આવ્યો.જયદ્રથ અને દુર્યોધન સામે ભીમસેન ચડી આવ્યો.પિતાપુત્ર શકુનિ અને ઉલૂક સામે સહદેવ ધસી આવ્યો.હાથીસેના સામે યુધિષ્ઠિર અને નકુલ ત્રિગર્તો સામે ધસ્યા.ક્રોધાયમાન થયેલા સાત્યકિ,ચેકિતાન અને મહારથી અભિમન્યુ,શાલ્વ અને કેકેયોની સામ આવી યુદ્ધમાં ઉભા રહ્યા.
અતિ દુર્જય એવા ધૃષ્ટકેતુ અને ઘટોત્કચ એ બંને કૌરવોના રથી યોદ્ધાઓની સેના સામે યુદ્ધ કરવા તૈયાર થયા. સેનાપતિ ધૃષ્ટધુમ્ન,ઉગ્ર પરાક્રમવાળા દ્રોણાચાર્યની સામે યુદ્ધ કરવા આવી ઉભો રહ્યો.આવી રીતે મહાધનુર્ધર એવા શૂરા ધનુર્ધરો સામસામા આવી જઈને પરસ્પર પ્રહાર કરવા મંડ્યા.