Apr 24, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-797

 

અધ્યાય-૧૪૨-શ્રીકૃષ્ણનાં વાક્ય 


II संजय उवाच II कर्णस्य वचनं श्रुत्वा केशवः परवीरहा I उवाच प्रहसन्वाक्यं स्मितपुर्वमिदं यथा II १ II

સંજયે કહ્યું-કર્ણનાં વચન સાંભળીને કેશવ,મુખ મલકાવી હસતા હસતા કહેવા લાગ્યા કે-હે કર્ણ,તું રાજ્યપ્રાપ્તિનો ઉપાય સ્વીકારતો નથી અને મારી આપેલી પૃથ્વીનું રાજ્ય ઈચ્છતો નથી,ત્યારે અવશ્ય પાંડવોનો જ જય થશે,એમાં કોઈ પણ જાતનો સંદેહ જણાતો નથી.જેના ઉપર વાનરરાજ બેઠેલો છે તે અર્જુનનો જયધ્વજ ઉંચે ફરકી રહેલો જ દેખાય છે.વિશ્વકર્માએ એ ધ્વજમાં ઇન્દ્રધ્વજના જેવી અતિ ઉત્તમ દિવ્ય માયા રચેલી છે અને એમાં જયને વહન કરનારા ભયાનક દિવ્ય ભૂતો રહેલા  જોવામાં આવે છે.હે કર્ણ,અર્જુનનો એ ઊંચો કરેલો ધ્વજ અગ્નિ જેવો દેદિપ્યમાન જણાય છે અને તે ચાર ગાઉ સુધી ઉંચે તથા આડે ફેલાયેલો છે છતાં ક્યાંય ઝાડ તથા પહાડમાં અટકતો નથી.

Apr 23, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-796

 

અધ્યાય-૧૪૧-કર્ણનો પ્રત્યુત્તર 


II कर्ण उवाच II असंशयं सौह्यादान्मे प्रणयाच्चात्थ केशव I सख्येन चैव वार्ष्णेय श्रेयस्काम तयैव च II १ II

કર્ણે કહ્યું-હે કેશવ,ખરેખર તમે મને જે કહ્યું,તે સ્નેહથી,પ્રેમથી,મિત્રતાથી અને મારા કલ્યાણની જ ઈચ્છાથી કહ્યું છે.

ધર્મશાસ્ત્રના નિયમ પ્રમાણે,ને તમે કહ્યું તેમ હું ધર્મથી પાંડુનો પુત્ર છું.કુંતીએ કન્યાવસ્થામાં સૂર્યથી મારો ગર્ભ ધારણ કર્યો અને મારો જન્મ થયા પછી તેમણે સૂર્યનાં વચનથી મને ત્યજી દીધો હતો.કુંતીએ તે વખતે મારુ ભલું ન થાય તે રીતે મારો ત્યાગ કરી દીધો ત્યારે અધિરથ સૂત મને જોતાં જ તુરત પોતાને ઘેર લઇ ગયો અને સ્નેહથી રાધાને સોંપ્યો.મારા પર સ્નેહ થવાથી રાધાના સ્તનમાં દૂધ ઉતર્યું.હે માધવ,જેણે મારાં મળમૂત્ર ઉપાડ્યાં ને મને મોટો કર્યો તેને હું કેમ ત્યાગી શકું?

Apr 22, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-795

 

અધ્યાય-૧૪૦-શ્રીકૃષ્ણે કર્ણને સમજાવવાનો પ્રયત્ન કર્યો 


II धृतराष्ट्र उवाच II राजपुत्रै: परिवृतस्तथा मृत्यैश्च संजय I उपारोप्य रथे कर्णे निर्यातो मधुसूदनः II १ II

ધૃતરાષ્ટ્રે પૂછ્યું-હે સંજય,શ્રીકૃષ્ણ,રાજપુત્રોથી તથા સેવકોથી વીંટાઇને એકલા કર્ણને રથમાં બેસાડીને અહીંથી ચાલી નીકળ્યા.

ત્યારે તે ગોવિંદે કર્ણને શું કહ્યું?તેમણે કર્ણને જે કોમળ કે તીવ્ર વચનો કહ્યાં હોય તે તું મને કહે 

સંજયે કહ્યું-શ્રીકૃષ્ણે જે વચનો કહ્યાં હતાં તે હું અનુક્રમથી તમને કહું છું તે સાંભળો.

Apr 21, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-794

 

અધ્યાય-૧૩૮-ભીષ્મ તથા દ્રોણનો,દુર્યોધનને ફરીથી ઉપદેશ 


 II वैशंपायन उवाच II कुंत्यास्तु वचनं श्रुत्वा भीष्मद्रौणो महारथौ I दुर्योधनमिदं वाक्यमुचतुःशासनातग II १ II

વૈશંપાયને કહ્યું-કુંતીનાં વચન સાંભળીને,મહારથી ભીષ્મ અને દ્રોણ,દુર્યોધનને કહેવા લાગ્યા કે-હે દુર્યોધન,કુંતીએ શ્રીકૃષ્ણ આગળ જે અતિઉત્તમ અને ભયંકર વચનો કહ્યાં છે,તે વાસુદેવને માન્ય એવાં વચનો પ્રમાણે કુંતીપુત્રો અવશ્ય કરશે અને તેઓ રાજ્ય મેળવ્યા વિના શાંત થશે નહિ.તે વખતે સભામાં,ધર્મપાશથી બંધાયેલા પાંડવોને તેં બહુ ક્લેશ આપ્યો હતો,ને તેઓએ સહન કર્યો હતો પણ હવે તેઓ તને ક્ષમા કરશે નહિ.પૂર્વે,વિરાટનગરમાં અર્જુને એકલાએ આપણ સર્વને હરાવ્યા હતા તે તને પ્રત્યક્ષ જ છે.ઘોષયાત્રા વખતે કર્ણ અને તને અર્જુને જ ગંધર્વો પાસેથી છોડાવ્યો હતો તે પૂરતું જ ઉદાહરણ છે.માટે તું પાંડવોની સાથે સલાહ કરી દે,ને મૃત્યુની દાઢમાં ગયેલી આ પૃથ્વીનું રક્ષણ કર.

Apr 20, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-793

 

અધ્યાય-૧૩૭-કુંતીનો પુત્રોને સંદેશો 


II कुन्त्युवाच II अर्जुनं केशव बुयास्त्वयि जाते स्म सूतके I उपोपविष्टा नारिभिराश्रमे परिवारिता II १ II

કુંતીએ કહ્યું-હે કેશવ,તમે અર્જુનને કહેજો કે-તું ઉત્પન્ન થયો ત્યારે સૂતકસમયમાં,જયારે હું સ્ત્રીઓથી વીંટાઇને બેઠી હતી,તે વખતે આકાશવાણી થઇ હતી કે-'હે કુંતી,આ તારો પુત્ર ઇન્દ્રના જેવો પરાક્રમી થશે.ને તે એકલો ભીમસેનને સાથે રાખીને સંગ્રામમાં એકઠા મળેલા સર્વ કૌરવોને જીતશે ને શત્રુઓને આકુળવ્યાકુળ કરી દેશે.તે પૃથ્વીનો વિજય કરશે ને એનો યશ સ્વર્ગ સુધી પહોંચશે.શ્રીકૃષ્ણની સહાયથી સંગ્રામમાં કૌરવોનો નાશ કરીને પોતાનો રાજ્યભાગ પામી તે રાજ્યનો ઉદ્ધાર કરશે,ને ઐશ્વર્ય પામ્યા પછી,તે બંધુઓની સાથે ત્રણ અશ્વમેઘ યજ્ઞો કરશે.' (5)

Apr 19, 2025

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-792

 

અધ્યાય-૧૩૬-વિદુલાનો પુત્રને ઉપદેશ (ચાલુ)


II विदुलोवाच II नैव राज्ञा दरः कार्यो जातु कस्यांचिदायाधे I अथ चेदपि दीर्णः स्यावैव वर्तेत दोर्णवर II १ II

વિદુલાએ કહ્યું-રાજાએ કોઈ પણ આપત્તિમાં કદી ડરી જવું નહિ અને કદાચ ડર લાગે તો પણ તેને ભયભીતના જેવું વર્તન રાખવું નહિ કારણકે રાજાને ભયભીત જોઈને સૈન્ય,રાષ્ટ્ર અને અમાત્યો એ સર્વે પણ ભયભીત થઇ જાય છે.તેમાંના કેટલાએક શત્રુને મળી જાય છે,કેટલાએક કે જેઓનું અપમાન થયેલું હોય તેઓ રાજા પર જ પ્રહાર કરવાની ઈચ્છા કરે છે.હે પુત્ર,મેં તારો પ્રભાવ,તારો પુરુષાર્થ અને તારી બુદ્ધિ જાણવાની ઈચ્છાથી તથા તારા તેજ અને ધૈર્યની વૃદ્ધિ કરવા માટે જ આ વચનો કહ્યાં છે.